CM રૂપાણીનો મહત્વપૂર્ણ નિર્ણય, સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની છૂટ
ગુજરાતમાં કોરોના મહામારીના કેસો સતત ઘટી રહ્યા છે જે એક રાહતના સમાચાર છે. રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો ઘટ્યો છે અને રિકવરી રેટ વધ્યો છે જેના કારણે રાજ્ય સરકારે જનતાને થોડી રાહત આપી છે. જેમા મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ રાજ્યના 36 શહેરોમાં તમામ દુકાનો વાણિજ્યિક સંસ્થાઓ, લારી, ગલ્લા, શોપિંગ કોમ્પલેક્ષ, હેરકટિંગ સલૂન, બ્યુટી પાર્લર, માર્કેટિંગ યાર્ડ તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ તા.4 જૂનથી સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની છૂટ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીએ કોર કમિટીની બેઠકમં આ નિર્ણય કરવા સાથે અન્ય પણ કેટલાક નિર્ણયો કર્યા છે. તે મુજબ હવે રેસ્ટોરન્ટ દ્વારા કરવામાં આવતી હોમ ડિલિવરી પણ રાત્રે 10 વાગ્યા સુધી થઈ શકશે. પરંતુ આ નિર્ણય માત્ર 4 જૂનથી 11 જૂન સુધી જ અમલી રહેશે. ત્યાર બાદ ફરીથી આ નિર્ણય અંગે જાહેરાત કરાશે.
રાજ્યમાં હાલ 36 શહેરોમાં જે રાત્રિ કરફ્યુ અમલમાં છે તેની મુદત પણ વધુ એક અઠવાડિયું વધારવાની મુખ્યમંત્રી એ જાહેરાત કરી છે. એટલે કે આ 36 શહેરોમાં 4 જૂનથી 11 જૂન સુધીના દિવસો દરમ્યાન રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી આ રાત્રિ કરફ્યુનો અમલ કરવાનો રહેશે.
આ દરમિયાન રાત્રિ કર્ફ્યૂ રાત્રે 9થી સવારના 6 વાગ્યા સુધી રહેશે અને મંદિર, બાગ બગીચા, સિનેમા ઘરો હજુ બંધ રહેશે. 4 જૂનથી 11 જૂન સુધી નવો નિયમ અમલી રહેશે. જણાવી દઇએ કે, આ પહેલા સવારે 9થી બપોરે 3 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રાખવાનો નિયમ હતો જેમા 3 કલાકનો વધારો કરી દેવામાં આવ્યો છે.